
અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા કડક ટેરિફ છતાં ભારતીય અર્થવ્યવસ્થાનું શાનદાર પ્રદર્શન
- ssoni43
- Nov 29, 2025
- 2 min read
મુંબઈ
કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર વધારાના 25% દંડાત્મક શુલ્ક મૂક્યા છતાં ભારતના ઉત્પાદન અને નિકાસ–કેન્દ્રિત ક્ષેત્રોએ લચીકતા દર્શાવી છે, જ્યારે સ્થાનિક માંગમાં સતત સુધારો જોવા મળ્યો છે. ભારતની અર્થવ્યવસ્થાએ જુલાઈ–સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 8.2% નો વાર્ષિક વૃદ્ધિદર નોંધાવ્યો, જે અગાઉની ત્રિમાસિક ગાળાના 7.8% કરતાં વધુ સારો છે.
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર મોરચે ભારતને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. ટેરિફના દબાણો અને બાહ્ય અવરોધો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાનું મજબૂત પ્રદર્શન દેશની આંતરિક શક્તિ દર્શાવે છે. મજબૂત ઉપભોક્તા ખર્ચ, ઉત્પાદન ક્ષેત્રની વધી રહેલી પ્રવૃત્તિઓ અને સ્થાનિક માંગની મજબૂતી એ તેજીને આધાર આપી છે. આ વૃદ્ધિ ઘણા સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓની અપેક્ષાથી પણ વધુ રહી, જેમણે 7.3% વધારાનો અંદાજ લગાવ્યો હતો. સતત મજબૂત થતા આર્થિક સૂચકો બતાવે છે કે વૈશ્વિક પરિસ્થિતિની અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની વિકાસ ક્ષમતા સ્થિર છે.
ભારત દુનિયામાં સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું પ્રદર્શન ચાલુ રાખી રહ્યું છે. જ્યારે રશિયા, અમેરિકા, ચીન જેવા અન્ય સ્પર્ધકો કોરોના મહામારી બાદથી તેમના જીડીપી પ્રદર્શનને લઈને ખાસ સારું કરી શક્યા નથી. વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ઉથલ–પાથલ વચ્ચે વૈશ્વિક વૃદ્ધિની ગતિ ધીમી રહી છે. ભારતની તુલનામાં બીજા દેશોની જૂન ત્રિમાસિક વૃદ્ધિદરે ચીન 5.2%, ઈંડોનેશિયા 5.2%, અમેરિકા 2.1%, જાપાન 1.2%, યુકે 1.2%, ફ્રાન્સ 0.7%, મેક્સિકો 0% અને જર્મની -0.2% રહી હતી.
*શંકર ઠક્કરે ભારતની અર્થવ્યવસ્થાના સારા પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે આ ઉત્તમ પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળની નીતિગત સ્થિરતા અને સતત ચાલતા સુધારાઓનું પરિણામ છે, જે દીર્ઘકાલીન સ્થિરતા અને વૃદ્ધિને બળ આપી રહ્યા છે. ભારત 7.3 ટ્રિલિયન ડોલરની અંદાજિત જીડીપી સાથે 2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિને આગળ ધપાવવામાં દેશના ઉત્પાદન, નિર્માણ અને સેવા ક્ષેત્રનો મહત્વનો ફાળો રહ્યો છે. વિકાસને લઈને ખાનગી રોકાણમાં ગતિ, વધતો ઉપભોક્તા વિશ્વાસ, પગારમાં વૃદ્ધિ અને મજબૂત કૃષિ ઉત્પાદનને કારણે વધતી ગ્રામ્ય માંગ પણ મહત્વના પરિબળો રહ્યા છે. સાથે જ ભારત સરકાર દ્વારા જીએસટીની દરોમાં કરવામાં આવેલી ઘટાડાથી લોકોની ખરીદ શક્તિ વધી છે જેના કારણે અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળી છે.*
.png)



Comments