પર્યાવરણીય પરિવર્તન કૃષિક્ષેત્ર સામે મોટો પડકાર...
- ssoni43
- Apr 5, 2023
- 3 min read
ઉનાળામાં માત્ર માવઠું નહીં વરસાદ પડે...કરા પડે...શિયાળો, ઉનાળો અને ચોમાસુ...ત્રણેય ઋતુનો એક સાથે અનુભવ થાય છે. દુનિયામાં જ્યાં ઠંડા પ્રદેશો છે ત્યાં કાળઝાળ ગરમી પડે છે. આ ફેરફાર સામાન્ય બાબત નથી...માણસ તેની અકળામણના રસ્તા શોધશે પરંતુ પર્યાવરણ (જળ-વાયુ) પરિવર્તનથી કૃષિક્ષેત્ર સામે સૌથી મોટો પડકાર ઊભો થયો છે. ખેતીપ્રધાન દેશ ભારતમાં કૃષિક્ષેત્ર આર્થકારણમાં ખૂબ મોટું મહત્ત્વ ધરાવે છે. પરંતુ આકાશી ખેતી કરતા ખેડૂત હવે મોસમ (વાતાવરણ) ને સમજી શકે તેમ નથી...કુદરતી આફાતો ખેતી ઉપર નિર્ભર લોકોના સ્વપ્ન રોળી નાંખે છે. પાણીનો પ્રશ્ન તો કાયમી છે. પરંતુ હજુ પણ જાગૃતિ નહીં આવે અને જળસંચય માટે તથા જળ-વાયુ પરિવર્તનને રોકવામાં નહીં આવે તો સમગ્ર માનવજાત માટે પણ મોટો ખતરો છે. તાજેતરમાં થયેલા વાવાઝોડા અને વરસાદથી દેશના મોટાભાગમાં ઘઉં, જીરું કે સરશિયાનો ઊભો પાક નાશ પામ્યો છે. આંબાના ઝાડોમાં આવેલ કેરીઓ ખરી પડી છે. મરચું અને જીરાના પાકને પણ મોટું નુકસાન થયું છે.. આ વર્ષે માર્ચ મહિનામાં વરસાદથી નુકસાન થયું. જ્યારે ગયા વર્ષે માર્ચ-2022માં ભીષણ-કાળઝાળ ગરમી પડી હતી. જેને લીધે ખેત ઉત્પાદનને માઠી અસર થઈ હતી. વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. પર્યાવરણને થયેલા ભારે નુકસાનની કિંમત ચૂકવીએ છીએ... સપ્ટેમ્બર-2021થી જાન્યુઆરી-2022 સુધી વરસાદ પડતો રહ્યો હતો. આથી ખેતરમાં ઊભેલો પાક ખેતરોમાં જ સડી ગયો હતો. છેલ્લા વર્ષોમાં જળવાયુ પરિવર્તનની અસર દુનિયાભરમાં દેખાઈ રહી છે. તેની સીધી અસર હવામાનની અનિયમિતતા તરીકે થઈ છે. ક્યારે, કેવું વાતાવરણ પલટાશે તે નક્કી નથી...તેનાથી ખેતીવાડીને ભારે નુકસાન સહન કરવું પડે છે. ભારતમાં વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં ખેતીવાડીના પાકોમાં પણ વિવિધતા છે. ખેડૂતો ત્યાંના રૂઢિગત પાકો વાવે છે અને પરંપરાગત રીતે ખેતી કરે છે. મુખ્યત્વે ત્રણ ઋતુ શિયાળો-ઉનાળો અને ચોમાસુને ધ્યાનમાં રાખી ખેડૂતો પાક વાવતા હોય છે. પરંતુ શિયાળુ પાક ઊભો હોય ત્યારે વરસાદ પડે અને ચોમાસામાં વરસાદ ન પડે એટલે કૃષિક્ષેત્ર હંમેશાં નુકસાની જ કરે છે. કૃષિબજારમાં આવેલ ઘઉં કે અનાજ અથવા મગફાળીનાં ઢગલા વરસાદમાં પલળી જાય છે. આ નુકસાનનો અંદાજ ખૂબ મોટો હોય છે. જળવાયુ પરિવર્તનને રોકી શકાય તેમ નથી પરંતુ તેને ધીમું કરી શકાય તેમ છે. તે દિશાના પ્રયાસો હવે ખૂબ જરૂરી છે. ખેતી માટે આવનારો સમય વધુ કપરો છે...આમ તો જળ-વાયુ પરિવર્તનએ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે અને તેનો ઉકેલ પણ સમગ્ર દુનિયાએ સાથે રહીને જ ઉકેલવો પડશે. પર્યાવરણ બદલાઈ રહ્યું છે. તેના મુખ્ય કારણોમાં હવા-પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હવામાં કાર્બન ઉમેરાતા તાપમાન વધી રહ્યું છે. ગ્લેશિયર પીગળી રહ્યા છે. દરિયાની સપાટી વધી રહી છે. જમીનમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. જમીનમાં પાણી રોકાય છે. તેનાથી વધુ પાણીનો ઉપાડ થાય છે. પરિણામે પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે. વારંવાર ધરતીકંપ તેનું પરિણામ છે. અતિવરસાદ, માવઠા, ઉનાળે કરા પડવા કે ભયંકર તાપ કે દુષ્કાળએ જળ-વાયુમાં આવેલ પરિવર્તનનું પરિણામ છે. દરિયાનું પાણી ગરમ થઈ રહ્યું છે. પરિણામે ઋતુચક્રમાં ફેરફાર...ગમે ત્યારે વરસાદ વગેરે ફેરફારો અત્યારે જોવા મળી રહ્યા છે. હજુપણ આવનારા સમયમાં તાપમાન અને મોસમની સિસ્ટમમાં અકલ્પનીય ફેરફારનો ભય છે. તેનો સૌથી વધુ ભોગ ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો બનશે. તે ચિંતાજનક છે. ઇંધણમાં વપરાતા પટ્રોલ-ડીઝલ અને ગેસનો ઉપયોગ ઓછો થાય. ઉદ્યોગોમાં પણ કોલસાનો ઓછો વપરાશ થતા અને વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે ઉપાય છે. સોલારથી મહત્તમ વીજળી ઉત્પન્ન થાય તો વીજળી ઉત્પાદન કરવા કોલસાનો વપરાશ ઓછો થાય વગેરે પગલાં લેવાનો સમય પાકી ગયો છે. હવામાં જેટલો કાર્બન ઉમેરાય છે તેની સામે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન થાય તે હાથવગો ઉપાય છે. જમીનમાંથી પાણી ખેંચી લીધા પછી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા પ્રયાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. આવનારી મોટી આપત્તિને રોકવા પર્યાવરણ જાળવણી જ એક ઉપાય છે તે સમજવાની જરૂર છે. ખેતીવાડી માટે જળસંકટ સર્જાય તે પહેલાં જળસંચય અભિયાનને સક્રિય કરવાની જરૂર છે. દેશનો આર્થિક ગ્રોથ ભલે ઊંચે જઈ રહ્યો છે. પરંતુ જળ સંશાધનો ખૂટી રહ્યા છે...ખેતીવાડીનો ગ્રોથ ઘટવાની દહેશત ઊભી થઈ છે. માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પાણીનો પોકાર ઊઠી રહ્યો છે. ગામડાં સંકોચાતા જાય છે. શહેરો અને નગરો સિમેન્ટ-કોંક્રિટના જંગલોની સાથે વિસ્તરી રહ્યા છે. જંગલો અને વૃક્ષો કપાઈ રહ્યા છે. કલાઇમેન્ટ ચેન્જને કારણે ઋતુચક્ર બદલાઈ ગયું છે. ચોમાસામાં વરસાદની ઘટ પડી રહી છે. જમીનનાં તળ ઊંડા જઈ રહ્યા છે. જળસંચય માટે લોકોએ ફારી જળસંચય અભિયાન હાથ ધરવા પડશે. જળસંચય માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ સારી જાગૃતિ હતી અને લોકભાગીદારીથી સરકારશ્રીએ પણ નોંધનીય કાર્ય કયુંર્ હતું. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જળસંચય અભિયાન માટે જોઈએ તેવું કામ થયું નથી. જળસંચય અને વૃક્ષારોપણ અને તેના જતન માટે લોકજાગૃતિ જ શ્રોષ્ઠ ઉપાય છે. આવનાર બે મહિના પછી ચોમાસુ શરૂ થાય તે પહેલાં જળસંચય અને વૃક્ષારોપણનું કાર્ય ગામડે-ગામડે થાય તે કામને અગ્રતા આપવાની જરૂર છે....

.png)



Comments